Nirmal Metro Gujarati News
article

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ,સ્પર્ધા નહીં. આપણા બધાનો આધાર પાદૂકા છે. લાભશંકર પુરોહિતને વ્યાસપીઠ તરફથી શ્રધ્ધાંજલિ અપાઇ

 

આપણો પ્રવેશ,પ્રસિદ્ધિ અને પ્રસ્થાન,એટલે કે સ્વીકૃતિ જે કેન્દ્રમાંથી મળી છે એ કેન્દ્રને ક્યારેય ન ભૂલવું જોઈએ.

થર્મોમીટર આપણો તાવ માપે છે કારણ કે એ પોતે બીમાર નથી.

 

ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની પંચતારક હોટલ હયાત ખાતે ચાલી રહેલી નવદિવસીય રામકથાનાં પાંચમાં દિવસે બાપુએ ગઇકાલનાં બેરખા બાબતનાં નિવેદન પર વિવેકી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દુનિયાભરમાં બેરખાઓ,માળા,કાળી શાલ,પાદૂકાઓ વેંચાય પણ છે,વહેંચાય પણ છે પણ હું એમાં ક્યાંય નથી,મારા નામથી એ નથવું જોઇએ એટલું જ. રામચરિતમાનસની બૂક પણ હું મારા પિતા પ્રભુદાસ બાપુને સ્મરણમાં રાખીને કોઇ માગે તો આપતો હોઉં છું.પણ હું ખાલી સ્પર્શ કરું છું,મારા હાથે આપું છું એટલું જ.

વિવિધ જિજ્ઞાસાઓ પણ આવેલી એનો યથા સમય જવાબ આપવામાં આવ્યા.

કથા આરંભે કથા પ્રકલ્પો અને શિષ્ટ સાહિત્ય તેમજ વિવિધ સાહિત્ય સાથે સતત સક્રીય,જોડિયા સાથે પણ નજીકથી જોડાયેલા લાભુદાદા(લાભશંકર પુરોહિત),જેનું ૯૨ વરસની વયે અવસાન થતા બાપુએ કથા જગત તેમજ વ્યાસપીઠ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરી તેમના કાર્યોને યાદ કરીને તેમના ગોલોક ગમનને શ્રધ્ધાંજલિ આપી.

બાપુએ જણાવ્યું કે આપણો પ્રવેશ,પ્રસિદ્ધિ અને પ્રસ્થાન એટલે કે સ્વીકૃતિ જે કેન્દ્રમાંથી મળી છે એ કેન્દ્રને ક્યારેય ન ભૂલવું જોઈએ.યુવાનોને પણ જણાવ્યું કે પહેલાં મા-બાપની આજ્ઞાનું પાલન કરો અને મા-બાપ પણ યુવાનોની વાતને માને.પણ મૂળને યાદ રાખીશું તો ગુરુપ્રેમી બની શકીશું.

બાપુએ કહ્યું કે શિવને પ્રિય થવા માટે પાર્વતી શું-શું કરે છે એ કુમારસંભવમાં કાલિદાસે એનું વિસ્તૃત વર્ણન કર્યું છે.ત્યાં કાલિદાસે શિવ-પાર્વતીને બિલકુલ માનવ રૂપ આપ્યું છે.જ્યાં પાર્વતીના વિવિધ ૧૭ નામ બતાવાયા છે.

બાપુએ કહ્યું કે થર્મોમીટર આપણો તાવ માપે છે કારણ કે એ પોતે બીમાર નથી.

બાપુએ કહ્યું કે પૂછવામાં આવ્યું છે કે પાઘડી,પોથી અને પાદુકાનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ? બાપુએ કહ્યું કે પાઘડી એ મારા માટે બ્રહ્મલોક છે.એ પ્રજ્ઞા છે.પોથી પૃથ્વી ઉપર છે.કારણ કે દિલમાં છે, આપણા હૃદયમાં છે,મધ્યમાં છે.અને પાદુકાની કરુણા પાતાળથી પણ ઊંડી છે.

તો આનો અભિષેક કઈ રીતે કરવો જોઈએ?

પાઘડીનો અભિષેક ત્રણ રીતે થાય:

પ્રજ્ઞાવાન વ્યક્તિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરીએ,જે અહોભાવથી મળ્યું છે એને સમાજ સામે કહેવું જોઈએ તથા ગુરુનું કરમ એટલે કે ગુરુ કરે છે એવું ન કરવું જોઈએ.આ ત્રણ વસ્તુ દ્વારા અભિષેક થઈ શકે બાપુએ એ પણ જણાવ્યું કે બુદ્ધપુરુષની વિચિત્રતા એ છે કે એ નજીકથી પણ નજીક અને દૂરથી પણ દૂર લાગે છે.

પોથીનો અભિષેક કરવા માટે જ્યારે પણ પોથી વાંચતા હોઈએ ત્યારે સાહજિક આંખમાં આંસુ આવી જાય એ અભિષેક છે.પોથી કોના દ્વારા મળી એ હાથનું સ્મરણ થાય અને પાઠ કરતી વખતે કોઈ દંભ ન હોય એ પોથીનો અભિષેક છે.

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ,સ્પર્ધા નહીં.

જો આપણે એને શિર ઉપર ધારણ કરીએ તો પાદુકા આપણી ઉપર અભિષેક કરે છે અને જેના ચરણની પાદુકા છે એની ચરણ રજથી આપણે પવિત્ર બનીએ એ પાદૂકાનો આપણે કરેલો અભિષેક છે.

કથાપ્રવાહમાં શિવ જ્યારે સમાધિમાંથી જાગે છે અને પછી દક્ષ યજ્ઞ વિશે પાર્વતી વાત કરે છે,શિવની મનાઈ છતાં સતી દક્ષયજ્ઞમાં જાય છે.જ્યાં અપમાન થતાં પ્રાણનો ત્યાગ કરે છે અને બીજો જન્મ હિમાચલને ત્યાં થાય છે.નારદ એના જોષ જુએ છે. ખૂબ જ કઠિન તપ કરે છે.અને શિવવિવાહનો પ્રસંગ આવે છે ત્યારે આઠ સખીઓ પાર્વતીને લગ્નમંડપમાં લઈ આવે છે.શિવવિવાહના વર્ણન પછી કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ થાય છે.અને પાર્વતી સમય જાણીને રામ વિશે શિવને પ્રશ્ન પૂછે છે ત્યારે શિવ કહે છે કે:

ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી;

તુમ સમાન નહીં કોઉ ઉપકારી.

પછી પંચમુખથી શિવ પાંચ કારણ આપે છે.રામ જન્મના પાંચ કારણો એ શિવના પંચમુખથી એક પછી એક વહે છે.

વિવેક અને વિચારનાં મખે જય અને વિજયની કથા કહે છે.ત્રીજું મુખ જે વિલાસની વાત નારદના પ્રકરણ દ્વારા શિવ કહે છે.ચોથા વિરાગનાં મુખથી મનુ અને શતરૂપાની ભક્તિ પ્રેમભરી કથા કહે છે.પાંચમાં વિશ્વાસના મુખથી કપટ મુનિની કથા જણાવે છે.

આ રીતે શિવ પંચમુખથી રામ જન્મના પાંચ કારણો બતાવે છે જે એક વખત આ જ રીતે શબ્દ,સ્પર્શ,રૂપ, રસ અને ગંધ એ પાંચ અલગ-અલગ કારણોની વાત પણ વ્યાસપીઠ દ્વારા કરવામાં આવી હતી.

એ પછી દેવતાઓ સ્તુતિ કરે છે અને એ વખતે રામ અયોધ્યામાં મા ની ગોદમાં પહેલા ચતુર્ભુજ રૂપમાં પ્રગટે છે.મા એને ધીમે-ધીમે બે હાથવાળા બનાવીને મનુષ્ય રૂપમાં લાવે છે.રુદન શરૂ થાય છે અને બાપુ કહે છે એમ સૈકાઓ પહેલા જે ભૂમિ અયોધ્યા તરીકે માનવામાં આવતી એ ઈન્ડોનેશિયાની ભૂમિ ઉપરથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથા અને વિરામ આપવામાં આવ્યો.

 

Box

કથા વિશેષ:

સદગુરુ એ છે જેનામાં કોઈ વિકાર નથી એટલે એ આપણા વિકારોને બતાવી શકે છે.

કબીરનું પદ:

કુછ લેના ન દેના મગન રહેના,

ગેહરી નદિયાં નાવ પુરાની.

કોઈ કેવટિયા સે મીલે રહેલા,

ગુરુ કે ચરણને લિપટ રહેના…

આમ એક સાથે જોડાઇ રહેવું.

પાદૂકા સાવધાન કરે છે.

એ ઘર અને ઘટની રક્ષા કરે છે.

પાદૂકા આપણા પ્રાણની રક્ષક છે.

પાદૂકા નિરંતર કોઈની યાદ આપણને આપે છે.

આપણા બધાનો આધાર પાદુકા છે.

Related posts

ચિત્તમાં આસક્તિ પણ છે અને વિરક્તિ પણ છે. એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે. “એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે.”

Reporter1

ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે

Reporter1

LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે

Reporter1
Translate »