Nirmal Metro Gujarati News
article

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે.

કથા માતા છે,કથા માત્ર જીવન છે.
કથા ભવસરિત તરણી,પન્નગભરણી અને વિવેકરૂપી અગ્નિ પ્રગટ કરનાર અરણી છે.
કથા પૃથ્વી પટ ઉપર સુધા તરંગિણી,સજ્જનોનાં મનનાં ભ્રમરૂપી દેડકાઓને ખાઇ જનારી ભુજંગિણી અને આસુરી વૃત્તિઓના સમૂહને ખતમ કરનાર નિકંદિની છે.

કથા બીજપંક્તિઓ:
મહામોહુ મહિષેસુ બિસાલા;
રામકથા કાલિકા કરાલા.
રામકથા સસિ કિરન સમાના;
સંત ચકોર કરહિં જેહિં પાના
*-બાલકાંડ-દોહો-૪૭
આત્મલિંગ,દેવી ભદ્રકાળી અને ગોકર્ણની ભૂમિમાં વહી રહેલી કથાનાં આજે પૂર્ણાહુતિ દિવસે આરંભે બાપુએ કથા મનોરથી રાજુભાઈ પરિવાર,તેની આખી ટીમ અને સમગ્ર આયોજન તરફ પોતાનો પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો.એ પણ ઉમેર્યું કે સૌથી મોટું કામ એ થયું કે મનોરથી પરિવાર દ્વારા કોઈનું અપમાન થયું નથી.બધું જ મંગળ,શુભ અને આનંદદાયક રહ્યું.
ભગવાન રામની કથા કાલિકા છે.પણ આપણી ચર્મચક્ષુથી આપણે કેટલું જોઈ શકીએ!ગીતાકાર અર્જુનને કહે છે કે તારી ચર્મદ્રષ્ટિથી તું માત્ર મને સારથિ રૂપે જુએ છે પણ આ દિવ્યદ્રષ્ટિથી હવે મને તું જો!અધ્યાત્મ દ્રષ્ટિથી જોઈએ તો બે આંખ છે: જ્ઞાન અને વૈરાગ્યની.ભગવાન રામ અખંડ-શાશ્વત જ્ઞાન છે,લક્ષ્મણ અખંડ વૈરાગ્ય છે.સ્થૂળ દ્રષ્ટિએ દશરથ બંનેને પુત્ર કહે છે પણ પ્રેમદ્રષ્ટિથી દશરથની એ બંને આંખો છે.આમ નર્મદ્રષ્ટિ,પરમદ્રષ્ટિથી પણ જોવું પડશે.
રામકથાને બહૂધા માતૃશરીર માનવામાં આવ્યું છે.કથા મા છે,કથા માતૃસ્વરૂપા છે.
જગતમાં પરમાત્માને જુઓ એક વાત છે અને જગત જ પરમાત્મા છે એવી સમજ એ બીજી વાત છે. તુલસીજી શ્રોતા,વક્તાને જ્ઞાનનિધિ કહીને રામચરિત માનસ-રામાયણ કઈ રીતે માતૃશરીર છે એના વિશે લખે છે:
કથા ભવસરિત તરણી એટલે કે નૌકા છે.નૌકા માતૃ સ્વરૂપ છે.મોટા-મોટા જહાજ ડૂબતા જોયા છે, નાવડી ડૂબતી નથી.
રામકથા કલી પન્નગભરનિ;
પુનિ બિબેક પાવક કહુ અરનિ
તુલસી કહે છે:
કથા પન્નગભરણી અને વિવેકરૂપી અગ્નિ પ્રગટ કરનાર અરણી મંથન છે.રામકથા કામદુર્ગા છે,ગૌમાતા છે. સજ્જનને જીવન દાન દેનારી જીવનમૂડી છે.પૃથ્વી પટ ઉપર સુધાતરંગિણી છે.સજ્જનોનાં મનનાં ભ્રમરૂપી દેડકાઓને ખાઇ જનારી ભુજંગિણી(સર્પિણી) છે.આસુરી વૃત્તિઓના સમૂહને ખતમ કરનાર નિકંદિની છે.સાધુના દેવકૂળના કષ્ટ થાય ત્યારે એને કલ્યાણ દેનારી ગિરિનંદિની છે. બાપુએ કહ્યું કે ગિરિનંદિની બે છે:એક પાર્વતી અને એક ગંગા.કથા પાર્વતી પણ છે,કથા ગંગા પણ છે. સાધુ સમાજરૂપી સમંદરની રમા સી(લક્ષ્મી)છે.સમગ્ર વિશ્વનો ભાર ઉઠાવનાર અચળ ધરતીરૂપી ક્ષમા સી (ક્ષમા જેવી)પણ છે.કથા યમરાજના દૂતોનું મોઢું કાળું કરનારી યમુના છે.(યમ અને યમુના સૂર્યના સંતાન હોવાથી ભાઈ બહેન છે).
બાપુએ એક વાત યાદ કરી કે જ્યારે એક ઇન્ટરવ્યૂમાં વિવિધ સમયે,વિવિધ કાલખંડમાં કોણ શ્રેષ્ઠ એવું પૂછાયું હતું.શ્રદ્ધા અને અનુભવથી જોવું જોઈએ.કદાચ મને પૂછવામાં આવે તો આજે આ કાલખંડમાં મારા માટે ત્રિભુવન દાદા છે.કારણ કે મારી શ્રદ્ધા અને અનુભવ છે.એ જ રીતે ૫૦ વરસનાં કાળખંડમાં વિનોબાજી,૧૦૦ વરસમાં ગાંધીજી,૫૦૦ વરસનાં કાળખંડમાં તુલસીદાસજી,૧૦૦૦ વરસનાં કાળખંડમાં શંકરાચાર્યજી અને અઢી હજાર વરસમાં મહાવીર અને બુદ્ધ,પાંચ હજાર વરસમાં પૂર્ણાવતાર કૃષ્ણ.કારણ કે વસુંધરા નવી-નવી ચેતનાઓ પ્રગટ કરતી જ રહી છે.આગળ જઈએ તો અનાદિકાળમાં, જ્યારે કંઈ નહોતું ત્યારે પણ ભગવાન મહાદેવ એનાથી આગળ કોઈ નહીં.
કથા જીવન મુક્તિ દેનારી સાક્ષાત કાશી છે.રામને પ્રિય એવી તુલસી અને તુલસી માટે હૃદયમાં ઉછાળા મારતી હૂલસી(તુલસીની માતા)જેવી છે.શિવજી માટે રામકથા શૈલસુતા જેવી અને સમસ્ત સિદ્ધિદાત્રી છે. સદગુણોરૂપી દેવતાઓને માતા અદિતિ જેવી છે. જેની કોઈ ઇતિ નથી એવી પ્રેમરૂપી ભક્તિ દેનાર પ્રેમ પરમીતિ પણ છે.રામકથા મંદાકિની છે,કથા માતા છે કથા માત્ર જીવન છે.
ગીતાના ન્યાયથી કથા:કીર્તિ,શ્રી,વાણી,સ્મૃતિ,મેધા, ધૃતિ અને ક્ષમા છે.
જ્યારે પણ મુશ્કેલીઓ આવે અને રામકથા યાદ આવે,અને જે પાનું પલટીએ એમાંથી એકાદ પંક્તિમાંથી સમસ્યાનો જવાબ મળી જાય છે.અથવા તો પૂછ્યા વગર પણ સમસ્યાનો જવાબ કથામાંથી મળી જાય છે એ પણ એક વિશેષ વાત બાપુએ જણાવી.
આમ રામચરિત માનસમાં વીસ અને ગીતાજી સાત માતૃરૂપ એમ મળીને ૨૭ લક્ષણો કથાના માતૃરૂપ દેખાડ્યા છે.
બાપુએ કહ્યું કે કથામાં આવ્યા પછી જપની જરૂર નથી કારણ કે કથા સ્વયં જપ છે.
ઉપસંહારક વાત કરતા કાગભુશુંડી અને ગરુડના સાત પ્રશ્નો પછી કથાનો સાર બતાવતા તુલસી ભજ લે રામ,ગા લે રામ અને સુન લે રામ એટલે કે સત્ય, પ્રેમ અને કરુણાને સાર સ્વરૂપમાં રાખીને વિરામ આપે છે,બધા જ ઘાટ પર વહી રહેલી કથા વિરામ પામે છે.બાપુ પણ ગદગદ ભાવથી,પ્રસન્નતા સાથે કથાને વિરામ આપતા કહે છે કે:કથામાં રસનાં ચાર કેન્દ્ર છે:નામ,રૂપ,લીલા અને ધામ છે.રામચરિત માનસના અંતિમ છંદમાં એનો સંકેત કરાયો છે.
સમગ્ર કથાનું પ્રેમફળ મા ભદ્રકાળીનાં ચરણોમાં સમર્પિત કરીને કથાને વિરામ અપાયો.
આગામી-૯૪૫મી રામકથા વિક્રમનાં વરસની છેલ્લી કથા,તલગાજરડીય વાયુમંડળ,બાપુનાં દાદા-ગુરુ ત્રિભુવનદાસ દાદાની પાવક,પાવન ભૂમિ તલગાજરડાની પાસે કાકીડી ખાતે ગુંજશે.
આ કથા ૧૯ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર દરમિયાન યોજાશે.
જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિયત નિયમિત સમયે ભારતીય સમય સવારે ૧૦ વાગ્યાથી નિહાળી શકાશે.

કથા વિશેષ:
હે મા!મારા જલ્પવાદને જપ સમજી લેજે
આજે એક મંત્ર જે જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ સૌંદર્ય લહેરીમાં લખેલો:જપો જલ્પ:…. -એ મંત્રનું પઠન કરીને બાપુએ કહ્યું કે જ્યારે કથા પૂરી થઈ રહી છે ત્યારે,દુર્ગા પૂજાનાં દિવસોમાં શંકરાચાર્યએ કહેલું હે માં!હું ખૂબ જ બોલ્યો પણ મારા આ જલ્પવાદને તું જપ સમજી લેજે.મારા બકવાસ બક-બકને તું જપ સમજી લેજે. મેં જે કોઈ ગુણગાન ગાયા,જે ચિત્ર,શિલ્પ બનાવ્યું એમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય તો એને મારી મુદ્રા સમજી લેજે.
મારી કોઈપણ પ્રકારની ગતિને તારી પ્રદક્ષિણા સમજી લેજે.
મેં જે પણ કંઈ ખાધું છે એ મારા પેટનાં અગ્નિમાં તારી આહૂતિ સમજી લેજે.
હું થાકીને કદાચ સુઈ જાઉં તો મારા દંડવત સમજી લેજે.

શેષ-વિશેષ:
બાપુએ આપ્યું ભાથું-ટિફીન
જ્યારે બહાર જતા હોઈએ ત્યારે સંબલ(ભાથું) આપીએ છીએ,મારા તરફથી આપને આ ટિફિન, જેમાં પાંચ વસ્તુ છે,થેપલા,છૂંદો,ઢોકળા જેવું:
એક-સવારમાં રોજ ઇષ્ટ દર્શન કરજો.
ચિત્ર અથવા મૂર્તિ આપના જે પણ ઇષ્ટ હોય.
બે-ઘરના બૂઝર્ગોની સેવા અને સ્મૃતિ દર્શન કરજો. જો જીવતા હોય તો સેવા અને ન હોય તો એનું સ્મરણ દર્શન કરજો.
ત્રણ-આપના ગુરુનું દર્શન અને એણે આપેલા શાસ્ત્રનું દર્શન કરજો.
ચાર-પ્રકૃતિનું દર્શન કરજો.
પહાડીઓ,વાદીઓ,નદી,આકાશ,ગ્રામ્ય દર્શન,ખેતર અને પશુ-પક્ષીઓનું દર્શન કરજો.
પાંચ-આપણા કર્મોનું દર્શન કરજો.
આ રીતે ધર્મથી કર્મ સુધીનું પાંચ દર્શન-જે આપના એક માટે પર્યાપ્ત ટિફીન છે.

Related posts

Introducing the Epitome of Sporty Elegance: The Launch of U.S. Polo Assn. x His Highness Sawai Padmanabh Singh Collection

Reporter1

Clear Premium Water installs 100% recyclable benches made from recycled plastic in Ahmedabad

Reporter1

PM Narendra Modi Unveils Vision to Make India Global Hub for Green Hydrogen: Outlines ambitious plans to lead in production, utilisation and export of sustainable fuel

Reporter1
Translate »